ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે ટી20 વર્લ્ડ કપનું આયોજન થનારું છે. પરંતુ કોરોના વાયરસ અને તેને પગલે લાગેલા લોકડાઉનને કારણે તેના આયોજન અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. દરમિયાન ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સકોટ મોરિસને પણ પ્રેક્ષકોના પ્રવેશમાં રાહત આપતું નિવેદન કર્યું છે અને તેને કારણે વર્લ્ડ કપના આયોજનની શક્યતા વધી ગઈ છે. જોકે ભારતીય ક્રિકેટ બોર્ડે આ અંગે રવિવારે એક નિવેદન કર્યું છે. બીસીસીઆઈનું કહેવું છે કે ટી20 વર્લ્ડ કપ અંગે ભારત સરકારની મંજૂરી વિના તે કોઈ પગલું ભરી શકે નહીં.
અમારા ખેલાડીઓની સુરક્ષા મહત્વની છે
બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમને ટીમ ઓસ્ટ્રેલિયા મોકલતા આનંદ થશે પરંતુ આરોગ્યને લગતી જે બાબતો અંગે નિર્ણય લેવાનો છે તે કેન્દ્ર સરકાર લેશે અને અમે સરકારની મંજૂરી વિના આગળ વધી શકીએ નહીં. અમારા માટે ખેલાડીઓની સુરક્ષા મહત્વની છે. તેમણે ઉમેર્યું કે ખેલાડીઓને વિદેશ મોકલવાની વાત છે. એવું નથી કે મુંબઈથી પૂણે એક બસમાં ગયા અને પરત ફરી ગયા. ભારતના ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયમાં જઈને રમવાનું છે અને સલામત રીતે પરત ઘરે ફરવાનું છે.
આઈસીસી બે બેઠક યોજ્યા બાદ નિર્ણય લઈ શકી નથી
બોર્ડના અધિકારીએ જણાવ્યું હતું કે ઓછી સંખ્યામાં પ્રેક્ષકો હોય તો પણ જોખમ તો રહેલું જ છે. ઓછી સંખ્યા હોવા છતાં પ્રેક્ષકો કોરોના ફેલાવી શકે છે. ટી20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબરમાં યોજાનારો છે પરંતુ કોરોનાને કારણે તેમાં વિલંબ થઈ શકે છે અને આઇસીસી પણ તે અંગે હજી સુધી બે બેઠક યોજ્યા બાદ પણ અંતિમ નિર્ણય લઈ શકી નથી